
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસથી હું દ્વારકા જિલ્લાના વિવિધ ગામો અને ખેતરોની મુલાકાતે છું અને ખેડૂતોને મળ્યો છું, ત્યારે કેટલીક ગંભીર બાબતો સામે આવી છે. અત્યારે દ્વારકા જિલ્લામાં ખેડૂતો ખૂબ પરેશાન છે. ખંભાળિયા, ઓખામંડળ અને કલ્યાણપુર તાલુકામાં વરસાદ ખેંચાયો છે. સરકારી આંકડા મુજબ, ઓખામંડળમાં માત્ર ૧૫ મીમી, ખંભાળિયામાં ૯૦ મીમી, કલ્યાણપુરમાં ૩૧ મીમી અને ભાણવડમાં લગભગ 74 મીમી આસપાસ જ વરસાદ નોંધાયો છે. ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધા બાદ જાણવા મળ્યું છે કે માત્ર 4 થી ૬ ટકા જ વરસાદ થયો છે, જેના કારણે માત્ર ૨૫ ટકા બિયારણ ઊગી શક્યું છે. જમીનમાં ભેજનું પ્રમાણ બિલકુલ ન હોવાથી કપાસ અને મગફળી સહિતના પાક હવે એક અઠવાડિયું પણ ટકી શકે તેમ નથી અને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ કફોડી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ’આપ’ જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર અને સ્થાનિક ખેડૂતોની સાથે મળીને હું માનનીય મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સમક્ષ ૪ મુખ્ય માગણીઓ મૂકી રહ્યો છું.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ કે અમારી માંગ છે કે,
૧. દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો: નિયમો (Norms) મુજબ ઓછો વરસાદ અને પાકના નુકસાનને ધ્યાને રાખી દ્વારકા જિલ્લાને તુરંત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.
૨. વિનામૂલ્યે ઘાસચારો: પશુપાલન માટે ચરણ કે ઘાસચારો ઉપલબ્ધ ન હોવાથી તાત્કાલિક ધોરણે પશુઓ માટે વિનામૂલ્યે ઘાસચારાનું વિતરણ શરૂ કરવામાં આવે.
૩. ડેમોમાં સૌની યોજનાનું પાણી: નર્મદા ડેમમાં ૧૩૨ મીટરથી વધુ પાણી ભરાયેલું છે. તેથી સૌની યોજના મારફત દ્વારકા જિલ્લાના તમામ નાના-મોટા સિંચાઈ ડેમોમાં ૨૪ કલાકની અંદર પાણી છોડવામાં આવે.
૪. ખેડૂતોનું દેવું માફ કરવું: બિયારણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોવાથી ચિંતાતુર અને આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવે.
https://www.facebook.com/share/v/1GLiJ7caWD/
આ ઉપરાંત, દ્વારકા જિલ્લાના ગામડાઓમાં આવેલા પાંજરાપોળોમાં ગાયો અને અન્ય પશુઓની હાલત અત્યંત દયનીય છે. તેથી સરકાર દ્વારા પાંજરાપોળોમાં પણ તાકીદે લીલા ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી અમે ભારપૂર્વક માગ કરીએ છીએ.




