
કેબિનેટની મહોર; વિધાનસભામાં રજૂ કરાશે બિલ ગુજરાતનાં પડોશી મધ્ય પ્રદેશમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી ડો. મોહન યાદવની અધ્યક્ષતામાં ભોપાલમાં મળેલી કેબિનેટ બેઠકમાં સર્વસંમતિથી મંજૂરી
મધ્ય પ્રદેશમાં એક દેશ, એક કાયદોની દિશામાં રવિવારે એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં ભોપાલના બહારના વિસ્તાર જગદીશપુરમાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાન નાગરિક સંહિતા (UCC) અધિનિયમ ૨૦૨૬ના મુસદ્દાને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટમાંથી લીલી ઝંડી મળ્યા બાદ હવે આ વિધેયકને આવતીકાલે એટલે કે, ૨૦ જુલાઈથી શરૂ થઈ રહેલા મધ્ય પ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે.
કેબિનેટ બેઠક બાદ આ ર્નિણયની જાહેરાત કરતા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે, તમામ મંત્રીઓએ પ્રસ્તાવિત કાયદાનું જાેરદાર સમર્થન કર્યું છે. તેમણે કહ્યું, આજે મધ્ય પ્રદેશ કેબિનેટે પૂરા દિલથી અને સર્વસંમતિથી સમાન નાગરિક સંહિતા વિધેયક, ૨૦૨૬ને મંજૂરી આપી દીધી છે. હું મારા તમામ કેબિનેટ સહયોગીઓ અને રાજ્યની જનતાને અભિનંદન આપું છું. આ વિધેયક હવે ૨૦ જુલાઈથી શરૂ થનારા વિધાનસભા સત્ર દરમિયાન પટલ પર રાખવા માટે તૈયાર છે. તેમણે આગળ કહ્યું કે, સરકાર સમાનતાને ભારતીય સભ્યતાનો મૂળ સિદ્ધાંત માને છે, અને આ જ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.
કેબિનેટની મંજૂરી મળ્યા બાદ, રાજ્ય સરકાર સોમવારથી શરૂ થઈ રહેલા મધ્ય પ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રમાં UCC વિધેયક રજૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગૃહમાં રજૂ થયા બાદ, કાયદો બનતા પહેલા આ વિધેયક પર વિગતવાર ચર્ચા અને આગળની કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. પ્રસ્તાવિત કાયદાનો હેતુ નાગરિક બાબતો માટે એક સમાન કાનૂની માળખું બનાવવાનો છે, જે આ કોડના દાયરામાં આવતી બાબતોમાં અલગ-અલગ સમુદાયો માટેના અલગ-અલગ પર્સનલ કાયદાઓનું સ્થાન લેશે.
સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકનો હેતુ લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક લેવા અને ઉત્તરાધિકાર જેવી બાબતોમાં ધર્મથી પર જઈને તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક કાયદો લાગુ કરવાનો છે. વર્તમાન સમયમાં અલગ-અલગ ધાર્મિક સમુદાયો માટે આ બાબતોમાં અલગ-અલગ પર્સનલ લો લાગુ પડે છે. પ્રસ્તાવિત કાયદાનું લક્ષ્ય આ તમામને હટાવીને એક સમાન કાનૂની માળખું તૈયાર કરવાનું છે.




