
વિદેશ મંત્રાલયે મહત્વની એડવાઇઝરી જાહેર કરી કૈલાશ માનસરોવર યાત્રા પર નીકળેલા અનેક ભારતીય નાગરિકો નેપાળમાં અટવાયા પ્રવાસ માટેના તમામ જરૂરી પ્રવાસ દસ્તાવેજાે હાથમાં ન આવી જાય, ત્યાં સુધી ભારતમાંથી પોતાની યાત્રા શરૂ ન કરવી
ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા પર જઈ રહેલા ભારતીય નાગરિકો માટે વિદેશ મંત્રાલયે (MEA) એ એક અત્યંત મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે પ્રાઈવેટ ટૂર ઓપરેટરો દ્વારા ચીનના જરૂરી એન્ટ્રી પરમિટ અને વિઝા મેળવ્યા વિના જ યાત્રા પર નીકળેલા અનેક ભારતીય નાગરિકો હાલ નેપાળમાં અટવાયા છે. જેમના તરફથી મદદ માટે વિનંતીઓ મળી રહી છે. હાલ આવા અંદાજે ૫૨ જેટલા ભારતીય શ્રદ્ધાળુઓ નેપાળના કાઠમંડુમાં ફસાયા છે અને આગળની સુરક્ષિત મુસાફરી માટે ભારત સરકારની તાત્કાલિક સહાયની રાહ જાેઈ રહ્યા છે.
વિદેશ મંત્રાલયે દેશના નાગરિકોને સ્પષ્ટ સલાહ આપી છે કે જ્યાં સુધી સંપૂર્ણ પ્રવાસ માટેના તમામ જરૂરી પ્રવાસ દસ્તાવેજાે (વિઝા અને પરમિટ) હાથમાં ન આવી જાય, ત્યાં સુધી ભારતમાંથી પોતાની યાત્રા શરૂ ન કરવી. અધૂરા દસ્તાવેજાે સાથે અથવા વિઝા મળી જશે તેવી આશાએ પ્રવાસ શરૂ કરવાથી અધવચ્ચે અટવાઈ જવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. આ ઉપરાંત, મંત્રાલયે શ્રદ્ધાળુઓને ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ જે ટૂર ઓપરેટર સાથે જઈ રહ્યા છે તે સત્તાવાર રીતે રજિસ્ટર્ડ અને પ્રમાણિત છે કે નહીં તેની પણ અગાઉથી ખાતરી કરી લે.
નેપાળમાં ફસાયેલા યાત્રિકોનો આ ગંભીર મુદ્દો નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર ઉઠાવ્યો હતો. તેમણે વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસોને તાત્કાલિક દરમિયાનગીરી કરવા વિનંતી કરી હતી. સુલેએ પોતાની પોસ્ટમાં લખ્યું, “કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા આશરે ૫૨ ભારતીય નાગરિકો હાલ કાઠમંડુમાં અટવાયા છે અને તેમને તાકીદની મદદની જરૂર છે. હું વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, કાઠમંડુ અને બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસોને આ બાબતે યોગ્ય પગલાં ભરીને ભક્તોની સુરક્ષિત આગળની યાત્રા સુનિશ્ચિત કરવા અપીલ કરું છું.” ઉલ્લેખનીય છે કે, કૈલાશ માનસરોવર યાત્રા ૨૦૨૬ માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો ગત ૨૦ જૂનના રોજ ભારત-ચીન સરહદ પર આવેલા નાથુ લા પાસ (Nathu La Pass) મારફતે સફળતાપૂર્વક ચીનની સરહદમાં પ્રવેશી ચૂક્યો છે. પરંતુ પ્રાઇવેટ ઓપરેટરો દ્વારા નેપાળ થઈને જતા યાત્રિકો માટે દસ્તાવેજાેની પૂર્તતા કરવી અત્યંત જરૂરી છે.



