
ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશી (આઈ.એ.એસ) તા.૧૨-૧૦-૨૦૨૫ ના રોજ
બપોરે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ વી.આઈ.પી સર્કિટ હાઉસ એક્તાનગર ખાતે આવી પહોંચતા નર્મદા જિલ્લા કલેકટરશ્રી
એસ. કે. મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળા, જિલ્લા પોલીસ વડા
સુશ્રી વિશાખા ડબરાલ, ડી.સી.એફ શ્રી અગ્નિશ્વર વ્યાસ અને નર્મદાના નાયબ વન સરંક્ષકશ્રી દ્વારા બુકે આપીને ઉષ્માભેર સ્વાગત
કરવામાં આવ્યું હતું.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સર્કિટ હાઉસ ખાતે આગામી તા.૩૦ અને ૩૧ ઓક્ટોબર, ના રોજ વડાપ્રધાનશ્રી
નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા
પોલીસવડા સુશ્રી વિશાખા ડબરાલે પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા થકી પરેડની જાણકારી ચીફ સેક્રેટરીશ્રીને આપવામાં
આવી હતી. સાથેસાથે પાર્કિંગ, ટ્રાન્સપોર્ટેશન અને લોકાર્પણ, ખાતમુહૂર્તના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સમગ્રતયા
સુચારૂ કાર્યક્રમ અંગે ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશીએ વિવિધ સમિતિઓને પ્રેરક માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા હતા અને
સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. શ્રી મુકેશપુરીએ રચનાત્મક સૂચનો કરી યોજાનાર કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા અને
પ્રકાશપર્વ તેમજ આરંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને બે દિવસ દરમિયાન યોજાનાર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જેમાં પાર્કિંગ, ટ્રાફિક
નિયમન, આમંત્રણ પત્રિકા, બેઠક વ્યવસ્થા, લાઈટ, પાણી, સ્વચ્છતા, રહેઠાણ વગેરે બાબતો અંગે ચર્ચા-વિચારણા બેઠકમાં કરવામાં
આવી હતી.
બેઠક બાદ ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશી અને એમ.ડી. શ્રી મુકેશપુરી, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. મોદી, CEO શ્રી અમિત અરોરા,
જિલ્લા પોલીસવડા, નાયબ વનસંરક્ષકશ્રી અને વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ સ્થળ વિઝીટમાં જોડાયા હતા. જેમાં
હેલીપેડ, પાર્કિંગ, એકતા પરેડ, ડેમ વ્યૂ પોઇન્ટ, વેલી ઓફ ફ્લાવર સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવામાં આવી હતી.
સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરી સરદાર સાહેબની પદપૂજા અને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પી હતી
અને પ્રદર્શનકક્ષ ખાતે એસ.એસ.એન.એલ ના એમ.ડી.શ્રી મુકેશપુરી દ્વારા ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશીને સરદાર સાહેબની પ્રતિકૃતિ
ભેટ અર્પણ કરવામાં આવી હતી. એસ.ઓ.યુ. ખાતેની મુલાકાત વેળાએ ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશીએ પ્રવાસે પધારેલા પ્રવાસીઓ
સાથે સીધો સંવાદ કરી અહીં આવીને કેવી લાગણી અનુભવો છો, તેમ પુછતા તેના પ્રત્યુતરમાં પ્રવાસીઓ્એ અમે અહીં આવીને ખૂબ
જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ તેવો ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો.
આ સમગ્ર મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ એસ.ઓ.યુ અને સરદાર સરોવર નર્મદા
નિગમ લિમિટેડના અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા.
