
મ્યાનમારમાં સૈન્ય શાસન વધુ મજબૂત જનરલ મિન આંગ હ્લેઈંગ બન્યા પ્રમુખ, દેખાડાની ચૂંટણીમાં જીત મિન આંગ હ્લેઇંગને ૪૨૯ મત મળ્યા હતા, જ્યારે નિવૃત્ત જનરલ ન્યો સોને માત્ર ૧૨૬ મત મળ્યા હતા મ્યાનમારમાં પાંચ વર્ષ પહેલાં લોકશાહી માર્ગે ચૂંટાયેલી સરકારને હટાવી સત્તા કબજે કરનાર સૈન્ય વડા મિન આંગ હ્લેઇંગ હવે સત્તાવાર રીતે દેશના પ્રમુખ બની ગયા છે. શુક્રવારે સંસદમાં યોજાયેલી ચૂંટણીમાં તેમણે મોટી જીત મેળવીને પોતાની સત્તા પર મહોર મારી દીધી છે. જાેકે, પશ્ચિમી દેશો અને વિરોધ પક્ષો આ ચૂંટણીને માત્ર એક નાટક ગણાવી રહ્યા છે. સૈન્યના પ્રભુત્વવાળી સંસદમાં મિન આંગ હ્લેઇંગને ૪૨૯ મત મળ્યા હતા, જ્યારે તેમની સામે ઉભેલા નિવૃત્ત જનરલ ન્યો સોને માત્ર ૧૨૬ મત મળ્યા હતા. ૬૯ વર્ષીય જનરલનો પ્રમુખ બનવાનો રસ્તો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં યોજાયેલી એ ચૂંટણીઓ બાદ સાફ થયો હતો, જેને ટીકાકારોએ લોકશાહીના બહાને સૈન્ય શાસન ચાલુ રાખવાનો એક મોટો ‘ઢોંગ‘ ગણાવ્યો છે.
આ જીત બાદ મિન આંગ હ્લેઇંગે સૈન્યના વડા તરીકેનો પોતાનો વર્ષો જૂનો હોદ્દો છોડીને સિવિલિયન પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી છે. તેમણે પોતાના વિશ્વાસુ સાથી યે વિન ઉને સૈન્યના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. નિષ્ણાતો માને છે કે આ ફેરફાર પાછળનો તેમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની સરકારને માન્યતા અપાવવાનો અને મ્યાનમાર પર સૈન્યની પકડ કાયમ રાખવાનો છે. જાેકે, દેશમાં ચાલી રહેલું ગૃહયુદ્ધ, આર્થિક સંકટ અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે નવા પ્રમુખ માટે આગામી સમય ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે તેમ છે.
પ્રમુખ બનતા પહેલા મિન આંગ હ્લેઇંગે સૈન્ય નેતૃત્વમાં પણ મોટા ફેરફારો કર્યા છે. તેમણે પોતાના ખાસ વિશ્વાસુ અને પૂર્વ ઈન્ટેલિજન્સ ચીફ યે વિન ઉને સૈન્યના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. નિષ્ણાતો માને છે કે વર્દી ઉતારીને સિવિલિયન ડ્રેસમાં પ્રમુખ બનવા પાછળનો તેમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવવાનો અને દાયકાઓથી દેશ પર શાસન કરી રહેલા સૈન્યના હિતોનું રક્ષણ કરવાનો છે. જાેકે, તેમની આ સફર કાંટાઓ ભરેલી રહી છે. ૨૦૨૧માં નોબેલ વિજેતા આંગ સાન સૂ કીની ધરપકડ બાદ દેશભરમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોએ હવે સશસ્ત્ર વિદ્રોહનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે મ્યાનમાર છેલ્લા પાંચ વર્ષથી આંતરવિગ્રહની આગમાં સળગી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મિન આંગ હ્લેઇંગની મુશ્કેલીઓ ઓછી નથી. ૨૦૧૭માં રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ કરવામાં આવેલા સૈન્ય અત્યાચારો અને માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોમાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય (ICC) એ તેમની સામે ધરપકડ વોરંટની માંગ કરેલી છે. બીજી તરફ, સૈન્ય શાસનનો અંત લાવવા માટે વિરોધ પક્ષો અને વંશીય લઘુમતી જૂથોએ હાથ મિલાવીને નવો મોરચો બનાવ્યો છે. ચીને આ નવી સરકારને સમર્થન જાહેર કર્યું છે, પરંતુ દેશમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ અને આર્થિક પાયમાલી વચ્ચે નવા પ્રમુખ માટે સ્થિરતા જાળવવી એ મોટો પડકાર બની રહેશે.




