
વિમાન મારફતે ભારત આવવા રવાના થયા છે ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના ૭૨ માછીમારો પરત ભારત આવવા નીકળ્યા યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા તમામ માછીમારો ભારત પરત આવવા નીકળતા પરિવારજનોમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે
ઈરાન-ઈઝરાઈલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે કિસ્ટ ટાપુ પર ફસાયેલા ઉમરગામ સહિત રાજયના ૭૨ માછીમારો આર્મેનિયા એરપોર્ટ પહોંચ્યા બાદ વિમાન મારફતે ભારત આવવા રવાના થયા છે. યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા તમામ માછીમારો ભારત પરત આવવા નીકળતા પરિવારજનોમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે. ઈરાન-ઈઝરાઈલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે વલસાડ જીલ્લાના ઉમરગામના મરોલીના ૨૫થી વધુ સહિત રાજયના ૭૨ માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાઈ ગયા હતા. જેને કારણે માછીમારોના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. એટલું જ નહીં પણ ફસાયેલા માછીમારો ૩૫ દિવસથી વધુ બોટમાં જીવન વ્યથિત કરતા હતા. માછીમારો આખરે ૨૦ દિવસના વિઝા મેળવી ઈરાનથી ૧૫૦૦ કિ.મી. દુર આવેલા આર્મેનિયા પહોંચ્યા હતા. માછીમારોએ આર્મેનિયા એરપોર્ટથી ભારત પરત આવવા માટે સરકારને સહયોગને અપીલ પણ કરી હતી.
આર્મેનિયા એરપોર્ટ પર પહોંચેલા તમામ માછીમારો ૪૦ દિવસ બાદ ભારે મુશ્કેલીનો સામાનો કર્યા બાદ આખરે વિમાન મારફતે ભારત આવવા નીકળ્યા હતા. માછીમારોએ ઉતારેલા વિડીયોમાં મિડીયા અને સરકારનો આભાર વ્યકત કર્યો હતો. તમામ માછીમારો ૪૦ દિવસ બાદ ભારત પરત આવવા નીકળ્યા હોવાની માહિતી મળતા તેઓના પરિવારજનોએ રાહત અનુભવી છે. આવતીકાલે રવિવારે તમામ માછીમારો પોતાના ઘરે પહોંચી જશે.




