
બંગાળમાં સૌથી વધુ ૧૦૦ નિરીક્ષકોની નિમણૂક મમતાની ભવાનીપુર સહિત બંગાળની ૫૫ બેઠકો સંવેદનશીલ : ચૂંટણીપંચ
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદો રોકડ, દારૂ, મફતમાં વહેંચાતી વસ્તુઓ અને માદક પદાર્થાેની હેરાફેરી વધી : ચૂંટણી પંચ
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની ભવાનીપુર સહિત ૫૫ બેઠકોને ચૂંટણીપંચે ખર્ચના સંદર્ભમાં સંવેદનશીલ જાહેર કરી છે. તેનું કારણ એ છે કે ચૂંટણીપંચને લાગે છે કે આ બેઠકો પર ખર્ચ ઉમેદવારોની ખર્ચમર્યાદાથી વધુ હોઈ શકે છે. આ ખર્ચ પર દેખરેખ રાખવા ચૂંટણીપંચે ૧૦૦ નિરીક્ષકોની પણ નિમણૂક કરી છે. આ સિવાય પાંચ રાજ્યોમાં સૌથી વધુ નિરીક્ષકો બંગાળમાં જ નીમાયા છે. કોઈ એક જ રાજ્યમાં આટલા મોટાપાયા પર ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. ચૂંટણીપંચના સૂત્રોનું કહેવું છે કે ગેરકાયદે રોકડ, દારૂ, મફતમાં વહેંચવામાં આવતી વસ્તુઓ અને માદક પદાર્થાેની હેરાફેરી પશ્ચિમ બંગાળમાં વધી છે. તમિલનાડુ પછી બંગાળ આ મામલામાં બીજા નંબરે આવે છે. ચૂંટણીવાળા પાંચેય રાજ્યોમાં અત્યાર સુધી બધુ મળીને ૧,૨૮૧ કરોડ રૂપિયાની ખેપ પકડવામાઁ આવી ચૂકી છે. અત્યાર સુધી જપ્ત કરાયેલા ૧,૨૮૧ કરોડની ખેપમાં ૧૦૫ કરોડના કીમતી ઝવેરાત છે. જ્યારે ૧૭૮ કરોડ રૂપિયાનો એવો સામાન જપ્ત કરવામાં આવ્યો છે જે ચૂંટણીમાં મફતમાં વહેંચવામા આવનાર હતો.એકલા બંગાળમાં જ ૧૭ એપ્રિલ સુધીમાં આવો ૪૩૦ કરોડ રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.આ જ કારણે ચૂંટણીપંચે ૫૫ બેઠકોને ખર્ચના હિસાબે સંવેદનશીલ જાહેર કરી છે.પંચને લાગે છે કે જાે તેના પર નજર ન રાખવામાં આવી તો મતદારોને લોભાવવા માટે ગેરકાયદેસરની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી શકે છે. હવે પંચે જે બેઠકોને સંવેદનશીલ જાહેર કરી છે તેમા સીમાંત ક્ષેત્ર ૨૪ ઉત્તર પરગણા, માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર દિનાજપુરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રોકડ સહિત ગેરકાયદે સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ સિવાય આઠ બેઠકો એવી છે જે બંગાળની સરહદ સાથે લાગે છે. તેમા વિધાનનગર, રાજરહાટ-ન્યુટાઉન, બારાસાત, મધ્યમગ્રામ, ભાટપારા, ગંધાતા, ઉત્તર બશીરહાટ સામેલ છે.આ જ રીતે કોલકાતાની સાત બેઠકોને સંવેદનશીલ કેટેગરીમાં મૂકી દેવાઈ છે. તેમા ત્રણ બેઠકો ઉત્તર કોલકાતાની છે અને ચાર દક્ષિણ કોલકાતાની છે. તેમા ભવાનીપુરનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. આ સીટ બંગાળની હાઇપ્રોફાઇલ બેઠક છે. સીએમ મમતા બેનરજીનો મુકાબલો વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારી સામે થવાનો છે. ગયા વખતે શુભેન્દુએ મમતા બેનરજીને નંદીગ્રામમાંથી હરાવી દીધી હતી. તેના પછી મમતા ભવાનીપુરમાંથી પેટાચૂંટણી લડી હતી અને વિજય મેળવ્યો હતો.



