
મિત્રો સાથે ન્હાવા પડ્યો અને કાળ આંબી ગયો સપ્તેશ્વર મહાદેવના દર્શને આવેલો યુવાન નદીમાં ડૂબ્યો સ્નાન કરતા સમયે અચાનક પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જવાને કારણે યુવાન ડૂબવા લાગ્યો હતો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વરથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા સપ્તેશ્વર મહાદેવના દર્શને આવેલો એક આશાસ્પદ યુવાન સાબરમતી નદીના પાણીમાં ડૂબી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે દર્શનાર્થીઓ અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉનાળાની સિઝન હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઇડર નજીક આવેલા સપ્તેશ્વર મહાદેવના દર્શને આવતા હોય છે. આવો જ એક યુવાન પણ પોતાના મિત્રો સાથે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યો હતો. દર્શન કર્યા બાદ ગરમીથી રાહત મેળવવા માટે યુવાન તેના મિત્રો સાથે મંદિર નજીક વહેતી સાબરમતી નદીના પાણીમાં ન્હાવા માટે પડ્યો હતો. સ્નાન કરતા સમયે અચાનક પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જવાને કારણે યુવાન ડૂબવા લાગ્યો હતો. જે બાદ મિત્રોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક નદીના પાણીમાં કૂદી પડ્યા હતા અને ભારે જહેમત બાદ યુવાનને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જાેકે, કમનસીબે પાણીમાં શ્વાસ રૂંધાઈ જવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહનો કબજાે મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે. પવિત્ર યાત્રાધામમાં બનેલી આ ઘટનાથી યુવાનના મિત્રો અને પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



