
અમેરિકા-કેનેડા વેપાર સંબંધોમાં ફરી વધ્યો તણાવ ટ્રમ્પનો કેનેડા પર મોટો વેપારી પ્રહાર: ૫૦% સુધીનો ટેરિફ જાહેર કેનેડિયન આયાત પર નવા શુલ્ક ૧૯ ઓગસ્ટથી અમલમાં આવશે; કેનેડાએ પગલાને વેપાર કરારનું ઉલ્લંઘન ગણાવ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી અનેક ચીજવસ્તુઓ પર ૫૦ ટકા સુધીનો વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરીને બંને દેશો વચ્ચેના વેપારી વિવાદને વધુ ગંભીર બનાવી દીધો છે. અમેરિકાનું કહેવું છે કે કેનેડા લાંબા સમયથી અમેરિકન કાર, ડેરી ઉત્પાદનો અને દારૂ સહિતની વસ્તુઓ સામે ભેદભાવપૂર્ણ વેપાર નીતિ અપનાવી રહ્યું છે. નવા ટેરિફ ૧૯ ઓગસ્ટથી અમલમાં આવશે.
અમેરિકી પ્રશાસને આ ર્નિણય માટે ટેરિફ એક્ટ, ૧૯૩૦ની કલમ ૩૩૮નો ઉપયોગ કર્યો છે. આ કાયદો અમેરિકાના રાષ્ટ્રપતિને એવા દેશો સામે ૫૦ ટકા સુધીનો ટેરિફ લાદવાની સત્તા આપે છે, જે અમેરિકન ઉત્પાદનો સામે ભેદભાવપૂર્ણ નીતિઓ અપનાવે છે. લગભગ એક સદી જૂના આ કાયદાનો ઉપયોગ અત્યંત દુર્લભ માનવામાં આવે છે.
નવા ટેરિફ હેઠળ દારૂ, સિમેન્ટ, કપડાં, ફર્નિચર, આઇસ હોકીના સાધનો અને અન્ય અનેક કેનેડિયન ઉત્પાદનો પર વધારાનો આયાત શુલ્ક વસૂલવામાં આવશે. જાેકે, ઊર્જા ઉત્પાદનો, પોટાશ, કિંમતી ખનિજાે અને માછલી જેવા કેટલાક વ્યૂહાત્મક ઉત્પાદનોને આ વધારાના ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.
અમેરિકાના ટ્રેડ પ્રતિનિધિ જેમિસન ગ્રીરે જણાવ્યું કે અન્ય દેશો સાથે વેપાર સંબંધો સુધારવાના પ્રયાસો સફળ રહ્યા છે, પરંતુ કેનેડા સતત જવાબી પગલાં લઈ રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, કેનેડાની ડેરી સપ્લાય મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓટોમોબાઇલ ક્ષેત્રની નીતિઓ અમેરિકન ઉત્પાદકો માટે અસમાન સ્પર્ધા ઊભી કરે છે. ઉપરાંત, અમેરિકન દારૂના વેચાણ પર લાગેલા પ્રતિબંધોના કારણે કેનેડામાં અમેરિકન દારૂની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે.
બીજી તરફ, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ અમેરિકાના ર્નિણયનો વિરોધ કરતાં જણાવ્યું કે તેમની સરકારે વેપાર વિવાદનો ઉકેલ લાવવા માટે અનેક પ્રસ્તાવો મૂક્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ટ્રમ્પ પ્રશાસનની ટેરિફ નીતિ ઉત્તર અમેરિકાના વેપાર કરારની ભાવનાનું ઉલ્લંઘન કરે છે. તેમ છતાં, કેનેડા વેપાર સંબંધો સુધારવા માટે અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખવા તૈયાર હોવાનું તેમણે જણાવ્યું.
તાજેતરમાં બંને દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત દરમિયાન જંગલની આગ અને તેનાથી અમેરિકામાં ફેલાતા ધુમાડાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. ટ્રમ્પે કેનેડાને આગ પર અસરકારક નિયંત્રણ લાવવાની અપીલ કરી હતી અને પર્યાવરણથી થતા આર્થિક નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
વિશ્લેષકોના મતે, અમેરિકા અને કેનેડા વચ્ચે વધતો વેપારી તણાવ ઉત્તર અમેરિકાના વેપાર, સપ્લાય ચેઇન અને વિવિધ ઉદ્યોગો પર અસર કરી શકે છે. જાે બંને દેશો વચ્ચે સમાધાન નહીં થાય, તો આગામી સમયમાં વેપાર યુદ્ધ વધુ તીવ્ર બનવાની શક્યતા છે, જેની અસર વૈશ્વિક બજારો પર પણ જાેવા મળી શકે છે.




