
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા કરવા જઈ રહી છે અને તે માટે જનતા પાસેથી સૂચનો તથા વાંધાઓ મંગાવ્યા છે. તેમણે કહ્યું કે લગ્ન નોંધણી કાયદાનો દુરુપયોગ કરીને કેટલીક ઘટનાઓમાં દીકરીઓને ખોટી રીતે હેરાન, ડરાવી-ધમકાવી અથવા છેતરપીંડી કરીને તેમનું જીવન બરબાદ કરવાની ઘટનાઓ સામે આવી છે. સમાજના વિવિધ વર્ગો અને સંસ્થાઓએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. ખાસ કરીને એસપીજી દ્વારા આ સમસ્યાને પ્રાથમિક સ્તરે ઉજાગર કરવામાં આવી હતી અને ઉત્તર ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા હતા. ઇટાલિયાએ જણાવ્યું કે સમાજના દબાણ અને માંગણીને પગલે સરકાર સુધારા માટે તૈયાર થઈ છે, જે સકારાત્મક બાબત છે. સાથે જ, કાયદામાં ફેરફાર કરતા પહેલાં જનતા પાસેથી સૂચનો મંગાવવાનો નિર્ણય પણ યોગ્ય છે. તેમણે સૂચન કર્યું કે ભવિષ્યમાં કોઈપણ કાયદો પસાર કરતા પહેલાં ઓછામાં ઓછા 30 દિવસ સુધી જનતા તથા ધારાસભ્યો પાસેથી સૂચનો મંગાવવાની પરંપરા સ્થાપિત થવી જોઈએ. તેમણે વધુમાં માંગ કરી કે સરકાર તમામ ધારાસભ્યો સાથે સીધી બેઠક બોલાવી કાયદા સુધારા અંગે તેમના સૂચનો સાંભળે, કારણ કે ધારાસભ્યો જનતાના પ્રતિનિધિ છે. માત્ર ઑનલાઇન પોર્ટલ પૂરતું ન રાખીને, મંત્રી અને મુખ્યમંત્રી સ્તરે ફેસ-ટુ-ફેસ ચર્ચા થવી જોઈએ.ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઉમેર્યું કે દીકરીઓની સુરક્ષા પક્ષ-વિપક્ષની બહારની બાબત છે અને કોઈપણ વ્યક્તિએ ખોટી ઓળખ, રાજકીય પ્રભાવ, મોટા નેતાઓ સાથેના સંબંધો અથવા ફોટાનો દબાણ બનાવી દીકરીઓનું શોષણ ન કરી શકે તે માટે કાયદામાં કડક જોગવાઈઓ હોવી જોઈએ. તેમણે કાયદામાં સુધારા અને સૂચનો મંગાવવાના નિર્ણયને આવકાર્યો, સમાજ અને સંબંધિત સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા અને ધારાસભ્યોના સૂચનો પણ સત્તાવાર રીતે લેવામાં આવે તેવી માંગ વ્યક્ત કરી હતી.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા લગ્ન નોંધણી કાયદામાં નિયમો લાગુ કરવા માટે સુધારો રજુ કરવામાં આવ્યો છે. આમાં 30 દિવસ સુધી લોકોએ પોતાના સૂચનો આપવાના છે અને હું જે સમાજનું પ્રતિનિધિત્વ કરું છું, એમને ધ્યાનમાં રાખીને પણ હું સૂચનો આપવાનો છું. ગુજરાતમાં આદિવાસી સમુદાય વસે છે તેમની બહેન દીકરીઓને તમામ જાતિ જ્ઞાતિમાં લઈ જવામાં આવે છે, હું કોઈના પ્રેમનો વિરોધી નથી અને હું લગ્ન નહીં એક પવિત્ર બંધન માનું છું. પરંતુ દર વર્ષે હજારો દીકરીઓને બીજી જાતિ જ્ઞાતિમાં લઈ જવામાં આવે છે અને તેમની ગરીબી અને મજબૂરીઓનો લાભ ઉઠાવવામાં આવે છે. ત્યાં લઈ ગયા પછી અમને ઉપયોગ આદિવાસી લોકોને મળેલી રિઝર્વ બેઠક પર ચૂંટણી લડાવવા માટે થાય છે, 73AAની જમીનો લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે, હોટલો-મોટલો અને એસટીના નામે પેટ્રોલ પંપની જે જાહેરાતો થાય છે, તેનો લાભ લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે, ખોટા જાતિના પ્રમાણપત્ર બનાવવા માટે આ દીકરીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો આદિવાસી દીકરીઓ બીજી કોમ્યુનિટીમાં જાય છે તો આદિવાસી યુવાનો સાથે બીજી કોમ્યુનિટીની દીકરીઓને લગ્ન માટે સહમતિ મળે તેનો પણ સુધારો અમે રજૂ કરવાના છીએ. કારણ કે જ્યારે આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીની દીકરી ને લઈને આવે છે તો દુનિયાભરનું જોર લગાવીને એ દીકરીને પાછી લઈ જવામાં આવે છે. આવી ઘટનાઓના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં પુરુષ અને સ્ત્રીના રેશિયોમાં ખૂબ જ મોટું તફાવત છે અને આદિવાસી વિસ્તારોમાં યુવાનો લગ્ન વગર ફરે છે.
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રીએ લવ જેહાદની વાત કરી તો આદિવાસી દીકરીઓને જે રીતે બીજી કોમમાં લઈ જવામાં આવે છે અને તેમનો ફાયદો ઉઠાવવામાં આવે છે તેને પણ અટકાવવામાં આવે એ માટે અમે આ નિયમોમાં સુધારાની માંગ કરવાના છીએ. જે આદિવાસી દીકરીઓને બીજી જગ્યાએ લઈ જઈને એસટી કેટેગરીની સીટો પર ચૂંટણી લડવામાં આવે છે અને 73AAની જમીનો લેવામાં આવે છે આવા જે પણ ગેરલાબ ઉઠાવવામાં આવે છે તેને અટકાવવા માટે અમે અમારું સૂચન રજૂ કરીશું. પ્રેમ સંબંધ બાદ બીજી કોમ્યુનિટીની દીકરીને અમારા સમાજનો યુવાન લઈને આવે છે, ત્યારે તે લોકોને સહમતી નથી મળતી તો આ લોકોને લગ્ન માટે સહમતિ મળે તેના સુધારાની પણ અમે વાત કરીશું. જુઓ બીજી કોમ્યુનિટીની દીકરીઓને અમારી કોમ્યુનિટીમાં આપવા માંગતા નથી તો મારી દીકરીઓને પણ બીજી કોમ્યુનિટીમાં ન લઈ જવામાં આવે એ સુધારો પણ અમે મૂકવાના છીએ.
આમ આદમી પાર્ટી જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા લગ્ન નોંધણી સુધારા વિધેયક–2024 ગ્રૂપ ક્રમાંક 6માં રજૂ કરવામાં આવ્યું છે અને ગત દિવસે તે વિધાનસભાના ગ્રૂપમાં દાખલ થયું છે. છેલ્લા બે વર્ષથી તેઓ આ મુદ્દે અભ્યાસ કરી રહ્યા હતા અને વિધાનસભાના નિયમો અનુસાર ખાનગી વિધેયક તૈયાર કરીને હવે સત્તાવાર રીતે રજૂ કર્યું છે. આ કાયદો બનાવવાની પ્રક્રિયામાં ગુજરાતભરમાંથી સૂચનો મંગાવવાની વાત મંત્રીએ પોતાના નિવેદનમાં કરી છે, જેને લઈને તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતની જનતાની ચિંતા એ છે કે કેટલીક દીકરીઓને લલચાવી, ફોસલાવી અથવા બ્લેકમેલ કરીને ખોટી રીતે લગ્ન નોંધણી કરાવવામાં આવે છે અને કાયદામાં રહેલી છટકબારીઓનો દુરુપયોગ કરીને કેટલાક તત્વો આવા કૃત્યો કરે છે. આવા બનાવો પર રોક લગાવવા માટે કડક અને સ્પષ્ટ કાયદાની જરૂર છે. હેમંત ખવાએ જણાવ્યું કે તેમની અપેક્ષા છે કે ગુજરાતના લોકો પાસેથી મળતા સૂચનો અને જનભાવનાઓને ધ્યાનમાં રાખીને મજબૂત અને અસરકારક કાયદો બનાવવામાં આવશે, જેથી દીકરીઓના શોષણ પર કડક રોક લાગી શકે. વિધેયક દાખલ થયા બાદ સરકાર તરફથી આ અંગે નિવેદન આવ્યું છે, છતાં તેઓ આ મુદ્દે કોઈ રાજકીય ટિપ્પણી કરવા માંગતા નથી. તેમનો ઉદ્દેશ માત્ર દીકરીઓની સુરક્ષા છે. જો સરકાર લોકોની અપેક્ષા મુજબનો કાયદો લાવશે, તો તેઓ વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાનથી વિધાનસભા ભવન સુધી પગપાળા જઈ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું સન્માન કરશે.




