
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણા દેશનું રાજકારણ હવે એકદમ નિમ્ન કક્ષાનું કહેવાય એટલી હદે ખરડાઈ રહ્યું છે જ્યાં નીતિમત્તા કે નૈતિકતા તો ગઈ ભાડમાં પણ ચૂંટણી સમયે લોલીપોપ જેવા અપાયેલા વચનો પણ જે સરકાર નથી પાળતી એવા દેશની પ્રજા જાણે કે સાવ સ્તબ્ધ અને નિસ્તેજ બનીને જીવતી હોય એવું લાગી રહ્યું છે.
આપણે વાત કરીએ આજના તદ્દન હલ્કી કક્ષાના રાજકારણની એવા રાજકારણમાં આયારામ-ગયારામ એ કોઈ નવી વાત નથી. પરંતુ આવન-જાવન ની આ નીતિથી એકસાથે કોઈ મોટા ચહેરાઓ સામે આવે તો સવાલ ફકત એમની નિષ્ઠા નો જ નહીં પરંતુ તંદુરસ્ત લોકશાહીના આરોગ્ય માટે પણ ઊભો થાય છે.
રાજયસભામાં “આમ આદમી” પાર્ટીના ૭ સાંસદોનું બીજેપીમાં વિલીનીકરણએ કાયદાના ધજિયા ઉડાડવાની સાથે સાથે પોતાની(જ્યાં થી આવેલાએ પાર્ટીની) વિચારધારાની પણ ઐસી કી તૈસી જેવી કરવાની વાત છે. આમ એક બાજુ BJP પોતાની ખાસ રણનીતિ (જેની કોઈ નીતિ જ નથી) ના જોરે સંસદમાં એની તાકાત વધારી રહી છે ત્યારે બીજી બાજુ વિપક્ષોની તૂટતી એકતા પણ BJPનો રસ્તો આસાન બનાવી રહી છે.
એવામાં અહી સવાલ એ ઊભો થાય છે કે શું ભારતીય રાજકારણમાં હવે વિચારો અને સિંધ્ધાંતોથી વધુ સત્તાના ગણિત પર નજર રખાય છે? શું આ એક પાટલી બદલુ આયારામ-ગયારામ એક ધંધો બની ગયો છે? કે પછી લોકશાહી પર સીધો હુમલો છે? પહેલા ધનુષ્યબાણ, પછી ઘડિયાળ અને હવે ઝાડુ પણ વેચાઈ ગયું છે? તો શું હવે આ વિચારધારાની દુકાનમાં બધો જ માલ ચાલશે? ભાજપ ફોર્મ્યુલા મુજબ વિપક્ષને તોડો, સત્તા સાથે કોઈપણ હિસાબે જોડો.



