
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ભાજપના 30 વર્ષના શાસન પછી ગુજરાતના લોકો એક સવાલ પૂછી રહ્યા છે કે શું ગુજરાતના લોકોનો આ 30 વર્ષમાં વિકાસ થયો છે? શું ગુજરાતના લોકો માટે શિક્ષણની વ્યવસ્થા ફાઇવ સ્ટાર કક્ષાની બની છે? શું ગુજરાતના લોકોને સારી સરકારી હોસ્પિટલો અને સારી આરોગ્ય સુવિધાઓ મળે છે? શું ગુજરાતનો ખેડૂત બે પાંદડે થયો છે? શું ગુજરાતના ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળે છે? શું તેમને પૂરતું ખાતર મળે છે? તેમની આજીવિકા માટે સરકારે આ 30 વર્ષમાં શું કર્યું છે? શું ગુજરાતનો નાનો વેપારી આજની પરિસ્થિતિમાં પોતાનો રોજગાર-ધંધો સારી રીતે કરી શકે એવી સ્થિતિમાં છે? આ 30 વર્ષમાં ગુજરાતના લોકો ફાયદામાં રહ્યા છે? આજે ગુજરાતના દરેક વ્યક્તિ ઉપર લોન અને હપ્તા ભરવાનું દબાણ છે. તમામ મકાનો, તમામ ગાડીઓ અને તમામ નાના-મોટા વેપારો આજે લોન ઉપર ચાલી રહ્યા છે. એવા સમયમાં ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા જુઓ.
’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતુ કે ભાજપની પ્રાથમિકતા પોતાના ફાઇવ સ્ટાર કમલમ બનાવવાની છે. આ કમલમ આજે ગુજરાતને ગૌરવ તરફ નહીં પરંતુ ગુલામી તરફ ધકેલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30 વર્ષમાં ગુજરાતને લૂંટીને પોતાની બાદશાહત સ્થાપિત કરી છે. જાણે પોતાનું ફરમાન ચલાવી રહી હોય અને લોકોને એવું કહી રહી હોય કે અમે તમને ગુલામ બનાવી દીધા છે. આજે ગુજરાતની આવી સ્થિતિ છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે 100 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરીને મોટા ફાઇવ સ્ટાર કાર્યાલયો બનાવ્યા છે. ભાજપ પોતાના સંગઠનને મજબૂત કરવા અને પોતાના મૂળિયાઓને મજબૂત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ લોકોની સુખાકારી માટે, લોકોના ભલા માટે અને લોકોની મૂળભૂત જરૂરિયાતો માટે કોઈ કામ કર્યું નથી. આજે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હવે આ ભાજપને ઓળખવાની જરૂર છે. આ ભાજપ આધુનિક તાનાશાહો છે. તાનાશાહો કરતાં પણ વધુ ખરાબ રીતે ગુજરાતની જનતાનું શોષણ કરનારા લોકો ભારતીય જનતા પાર્ટીમાં બેઠા છે. ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપના દુષ્કર્મોને ઓળખો, ભાજપની લૂંટને ઓળખો અને ભાજપે આપણને જે ગુલામી તરફ ધકેલ્યા છે, તે ગુલામીને ઓળખો.



