
ગાયના શુદ્ધ ઘી ના નામે ચાલતું હતું પાપકામરેજમાં નકલી ઘી ફેક્ટરી ઝડપાઈ, ૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.આ નકલી ઘીને અલગ-અલગ સાઈઝના ડબ્બાઓમાં પેક કરી તેના પર “ગાયનું શુદ્ધ ઘી” લખીને બજારમાં વેચી દેવામાં આવતું હતું.તહેવારો નજીક હોય કે સામાન્ય દિવસો, ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો બેફામ બન્યા છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ફરી એકવાર શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે. કામરેજના નવાગામ ઉદ્યોગનગર વિસ્તારમાં ધમધમતી આ ફેક્ટરી પર જિલ્લા LCB અને ફૂડ વિભાગે સંયુક્ત રીતે ત્રાટકીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, કામરેજના નવાગામ ઉદ્યોગનગરમાં ‘આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ’ ના નામે એક ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. આ ફેક્ટરીમાં માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને પામ ઓઇલ અને વનસ્પતિ ઓઇલનું મિશ્રણ કરી શંકાસ્પદ ઘી તૈયાર કરવામાં આવતું હતું. એટલું જ નહીં, આ નકલી ઘીને અલગ-અલગ સાઈઝના ડબ્બાઓમાં પેક કરી તેના પર “ગાયનું શુદ્ધ ઘી” લખીને બજારમાં વેચી દેવામાં આવતું હતું.
આ કાળા કારોબાર અંગે સુરત જિલ્લા એલસીબી ને ચોક્કસ બાતમી મળી હતી.
જેના આધારે LCB ની ટીમે ફૂડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ફેક્ટરી પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત સામગ્રી મળી આવી હતી. જેમાં રૂ. ૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં પામ ઓઇલ અને વનસ્પતિ ઓઇલનો જથ્થો, તૈયાર કરાયેલું શંકાસ્પદ નકલી ઘી, ઘી બનાવવા માટેની અન્ય સામગ્રી અને કેમિકલ્સ અને પેકિંગ કરવા માટેના ખાલી ડબ્બા અને સાધન સામગ્રી જપ્ત કરી છે.
પોલીસે આ તમામ વસ્તુઓ મળીને કુલ રૂ. ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફૂડ વિભાગે ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે, અને ફેક્ટરીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ રેડ બાદ નકલી ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.



