
ATS એ દેશભરમાં પોઇઝન એટેક કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો ATS એ પકડેલા આતંકીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ દબોચી લેવામાં આવ્યા છે.ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અમદાવાદમાંથી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરીને દેશભરમાં પોઇઝન એટેક (ઝેર દ્વારા હુમલો) કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓમાંથી એક MBBS ડૉક્ટર છે, જે ઝેરી કેમિકલમાંથી અત્યંત ઘાતક ઝેર બનાવવાની ફિરાકમાં હતો. ઝડપાયેલો મુખ્ય આરોપી હૈદરાબાદનો રહેવાસી ડો. અહમદ સૈયદ ઝીલાની (અબુ ખદીજા) છે. તે ચાઇનાથી MBBSની ડિગ્રી મેળવનાર ડોક્ટર છે. ઝીલાની ૬ તારીખે હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો અને તેની ધરપકડ અડાલજ ટોલનાકા પાસેથી કરવામાં આવી હતી. ઝીલાની પર રાયઝિન (Ricin) નામનું જીવલેણ ઝેર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો અને મોટા આતંકી
હુમલાઓ કરવાની ફિરાકમાં હોવાની આશંકા છે. આ ઝેર ખૂબ ઓછી માત્રામાં પણ મોટી સંખ્યામાં લોકોને મારવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે આ ઝેર પાવડર સ્વરૂપે હોય છે અને તેને પાણી, હવા અથવા ઇન્જેક્શન દ્વારા આપી શકાય છે. ધરપકડ પહેલા ડોક્ટર આતંકી અમદાવાદમાં લાલદરવાજા ઉતરીને લકી હોટલ સામે રોકાયો હતો. ઉત્તર પ્રદેશના મોહમ્મદ સુહેલ અને આઝાદ સુલેમાન શેખ (આઝાદ સૈફી)ની બનાસકાંઠાથી ધરપકડ કરવામાં આવી છે. સુહેલ અને આઝાદ ઉત્તર પ્રદેશથી ૩ વેપન, ૩૦ કારતૂસ અને જીવલેણ કેમિકલ પ્રવાહી લાવ્યા હતા.આ બંને શખ્સોએ આ હથિયારો કલોલ ખાતે એક અવાવરુ જગ્યાએ છુપાવ્યા હતા, જે બાદમાં હૈદરાબાદના ડોક્ટર આતંકી ઝીલાનીએ રીસીવ કર્યા હતા. આ હથિયારો રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાંથી મેળવવામાં આવ્યા હતા, અને પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલાયા હોવાની આશંકા છે.




