
લેબનોન પર ઈઝરાયેલનો વળતો પ્રહાર, ૫૨ મોત અસરગ્રસ્ત ભારતીયોને જરૂરી સહાય અપાશે: ભારત
પશ્ચિમ એશિયામાં અસ્થિરતા સંદર્ભે પીએમ મોદીના વડપણ હેઠળ કેબિનિટ કમિટી ઓન સીક્યુરિટીની બેઠક યોજાઈ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ અને અસ્થિરતા સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેબિનિટ કમિટી ઓન સીક્યુરિટી (CCS)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા સાથે અસરગ્રસ્ત ભારતીયોને જરૂરી સહાય પૂરી પાડવા માટે સંબંધિત વિભાગોને સૂચના અપાઈ હતી. CCS ની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, પશ્ચિમ એશિયામાં મોટી સંખ્યામાં વસતા ભારતીયોની સલામતી અને સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરાઈ હતી.
આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલ, વડાપ્રધાનના અગ્ર સચિવો પી કે મિશ્રા, શશિકાંત દાસ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાન, કેબિનેટ સેક્રેટરી ટી વી સોમનાથન અને વિદેશ સચિવ વિક્રમ મિસરી ઉપસ્થિત રહ્યા હતા.દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી તંગદિલી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત આ ક્ષેત્રના તમામ દેશો સાથે સંપર્ક કરી તેમના નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરશે. શાંતિ અને સ્થિરતાને પ્રાથમિકતા આપવાનું ભારતનું વલણ સ્પષ્ટ છે. ભારત હંમેશા સંવાદ દ્વારા સમસ્યાના સમાધાનમાં વિશ્વાસ ધરાવે છે.મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલી લડાઈને પગલે આ દેશોના રૂટ પરની ૨૦-૨૫ ટકા એર ટિકિટો રદ થઈ છે અથવા તેની તારીખોમાં ફેરફાર કરાયો છે. આ અંગે માહિતી આપતાં ઈન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સ(આઈએટીઓ)એ જણાવ્યું હતું કે, હાલની તંગદિલીને લીધે પ્રવાસીઓમાં ભારે ચિંતા અને ગભરાટ જાેવા મળી રહ્યો છે.
મોટાભાગના પ્રવાસીઓએ કાં તો પોતાની ટિકિટ્સ રદ કરાવી છે અથવા તો તેની તારીખમાં ફેરફાર કર્યાે છે. જાે આ સંઘર્ષ વધુ લાંબો સમય ખેંચાશે તો તેનાથી એરલાઈન્સને આર્થિક અસર થશે.હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલ પર હુમલાના વળતા જવાબમાં લેબનોન પર મિસાઈલ્સ ઝીંકાઈ હતી. ઈઝરાયેલના વળતા હુમલામાં ૫૨ લેબનોનવાસીનાં મોત થયા હતા. ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષના પગલે અખાતી રાષ્ટ્રોમાં યુદ્ધનાં વાદળ વધુ ઘેરાયા છે. લેબનોન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ૧૪૯ ઘાયલ થયા છે. કુવૈત પર ઈરાને હુમલા શરૂ કરતાં અમેરિકાએ પોતાના નાગરિકોને ઘરમાં જ રહેવા સૂચના આપી છે.




